સવારના 5:30 વાગ્યા છે. કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલમ પર્વત પર આવેલા મલ્લિકાર્જુન મંદિરના દરવાજા પર સુરક્ષાકર્મીઓ થર્મલ મશીન લઈને ઊભા છે. મંદિર દર્શન છ વાગે ખૂલશે. શિવરાત્રિ અને શ્રાવણના દિવસોમાં લાખો ભક્તોથી ભર્યા ભર્યા રહેતા આ મંદિરમાં આજકાલ સન્નાટો છે. એક સમયે અહીં દર્શન-પૂજામાં કલાકો વીતી જતા, પરંતુ અત્યારે દસ મિનિટ થાય છે. અહીં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ સાથે છે. દેશમાં આવા ફક્ત ત્રણ મંદિર છે. અહીં મા પાર્વતી ભ્રમરંબાના રૂપમાં વિદ્યમાન છે. પાર્વતીનું નામ મલ્લિકા અને શિવનું નામ અર્જુન હોવાથી આ જ્યોતિર્લિંગનું નામ મલ્લિકાર્જુન છે.

મંદિરના અધિકારી એચ. મલ્લિકાર્જુન કહે છે કે, કોરોનાના કારણે મંદિરમાં ભક્તો માટે થતી તમામ આઠ પૂજા રોકીને ઓનલાઈન શરૂ કરાઈ છે. તમામનું મૂલ્ય રૂ. 1116 રખાયું છે. શ્રદ્ધાળુઓ મંદિરની સાઈટ પર આવેદન ભરે છે. ત્યાર પછી સેવકો તેમના નામે જ પૂજા કરે છે અને ભક્ત તે ઓનલાઈન જુએ છે. 14 એપ્રિલથી શરૂ થયેલી આ સુવિધાનો આઠ હજાર લોકો લાભ લઈ ચૂક્યા છે. તેમાં સૌથી વધુ આવેદન મહામૃત્યુંજય જાપના રહ્યા.

કોરોના પહેલા મંદિરમાં રોજ 1000થી વધુ ભક્ત આ પ્રકારની પૂજા કરાવતા. હાલ અહીં રોજ ચારેક હજાર લોકો આવી રહ્યા છે, જ્યારે સામાન્ય દિવસોમાં 70 હજાર લોકો આવતા. અહીં દર મહિને રૂ. ત્રણ-ચાર કરોડનું દાન મળે છે. અત્યાર સુધી શ્રીશૈલમમાં કોરોનાનો કોઈ કેસ નથી નોંધાયો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/devotees-are-getting-live-darshan-through-youtube-earlier-they-used-to-get-a-donation-of-rs-4-crore-per-month-nowadays-there-is-silence-in-the-temple-127483055.html
0 Comments